વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દુબઈમાં માલદીવના પ્રેસિડન્ટ મોહમ્મદ મુઈઝુ સાથે મુલાકાત કરી હતી. (ANI Photo)

માલદીવમાં મોહમ્મદ મુઇઝુની આગેવાની હેઠળની સરકારની રચના બંને પછી બંને દેશો વચ્ચે સર્જાયેલી ગેરસમજ અને કેટલીક સમસ્યાનો હવે ઉકેલ આવી ગયો છે, એમ આ ટાપુ દેશના વિદેશ પ્રધાન મુઝા ઝમીરે જણાવ્યું હતું.

ચીન તરફી ગણતા મુઇઝુએ પ્રેસિડન્ટ પદ સંભાળ્યાના થોડા સમય બાદ બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ સંબંધો જોવા મળ્યાં હતાં.વિદેશ પ્રધાન ઝમીરે જણાવ્યું હતું કે અમારી સરકારની શરૂઆતમાં ભારત સાથે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ હતી. અમારા ચીન અને ભારત બંને સાથે સારા સંબંધો છે અને બંને દેશો માલદીવને સમર્થન આપવાનું ચાલુ રાખે છે. મુઇઝુ ટૂંક સમયમાં ભારતની સત્તાવાર મુલાકાત લે તેવી અપેક્ષા છે.

મુઇઝુએ પ્રેસિડન્ટ પદ સંભાળ્યાના થોડા સમય બાદ માલદીવને ભારત દ્વારા ભેટમાં આપેલા ત્રણ ઉડ્ડયન પ્લેટફોર્મ પર તૈનાત ભારતીય સૈન્ય કર્મચારીઓને પાછા ખેંચવાની માંગ કરી હતી. બંને દેશો વચ્ચે વાટાઘાટો પછી ભારતીય સૈન્ય કર્મચારીઓની જગ્યાએ સરકારી અધિકારીઓ મોકલવામાં આવ્યાં હતાં. માલદીવના ત્રણ નાયબ પ્રધાનોએ સોશિયલ મીડિયા પર ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી ત્યારે બંને દેશોના સંબંધો વધુ ખરાબ બન્યાં હતાં. આ પછી ત્રણ જુનિયર પ્રધાનોને સસ્પેન્ડ કરાયાં હતાં.

માલદીવના પ્રેસિડન્ટ સામાન્ય રીતે સત્તા સંભાળ્યા પછી સૌ પ્રથમ ભારતની મુલાકાત લેતા હોય છે, પરંતુ તેનાથી વિપરીત મુઇઝુએ પહેલા તુર્કી અને પછી ચીનની મુલાકાત લીધી હતી. આ બંને દેશોને ભારતના વિરોધી છે.

LEAVE A REPLY