પહેલગામ આતંકવાદી હુમલા પછી ઉશ્કેરણીજનક, સાંપ્રદાયિક અને સંવેદનશીલ સામગ્રી ફેલાવવા બદલ ભારતમાં કુલ 63 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ ધરાવતી 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર સોમવારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ભલામણો પર આ કાર્યવાહી કરાઈ હતી. સરકારે પહેલગામ હુમલાના પક્ષપાતી રિપોર્ટિંગ માટે બીબીસીને પણ વોર્નિંગ આપી હતી.
પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેવી ચેનલોમાં ડોન, સમા ટીવી, એઆરવાય ન્યૂઝ, બોલ ન્યૂઝ, રફ્તાર, જીઓ ન્યૂઝ અને સુનો ન્યૂઝના ન્યૂઝ જેવી પાકિસ્તાન મીડિયાની યુટ્યુબ ચેનલોનો સમાવેશ થાય છે. પત્રકારો ઇર્શાદ ભટ્ટી, અસ્મા શિરાઝી, ઉમર ચીમા અને મુનીબ ફારૂકની યુટ્યુબ ચેનલો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રતિબંધિત કરાયેલા અન્ય હેન્ડલમાં ધ પાકિસ્તાન રેફરન્સ, સમા સ્પોર્ટ્સ, ઉઝૈર ક્રિકેટ અને રાઝી નામાનો સમાવેશ થાય છે.
“કાશ્મીરમાં પ્રવાસીઓ પર થયેલા જીવલેણ હુમલા બાદ પાકિસ્તાને ભારતીયો માટે વિઝા સસ્પેન્ડ કર્યા” નામની હેડલાઇનના મુદ્દે સરકારે બીબીસીને ચેતવણી પણ આપી હતી. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે ધ્યાન દોર્યું હતું કે હેડલાઇન વાંચીને લાગે છે કે “ભારતે પ્રવાસીઓને મારી નાખ્યા”. સૂત્રોએ જણાવ્યું છે કે વિદેશ મંત્રાલયના વિદેશી પબ્લિલિટી ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે આતંકવાદી હુમલા અંગેના તેમના રિપોર્ટિંગ અંગે બીબીસીના ભારત ખાતેના વડા જેકી માર્ટિનને દેશની લાગણીઓ વ્યક્ત કરતો પત્ર લખાયો હતો. ત્રાસવાદીઓનો બળવાખોર તરીકે ઉલ્લેખ કરવા બદલ પણ બીસીસીને એક પત્ર લખાયો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સરકાર બીબીસીના રિપોર્ટિંગ પર નજર રાખશે.
