ભારતના વિદેશ મંત્રાલયે કૈલાશ માનસરોવર યાત્રા 2025ની જાહેરાત કરી હતી. પાંચ વર્ષના લાંબા ગાળા બાદ આ વર્ષે 30 જૂનથી કૈલાશ માનસરોવર યાત્રાનો પ્રારંભ થશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ યાત્રા ઓગસ્ટ સુધી ચાલુ રહેશે, જેના માટે અરજી મંગાવવાનું શરૂ કરાયું છે. કુલ 750 યાત્રાળુઓ કુલ 15 બેચ તિબેટમાં કૈલાશ પર્વત અને માનસરોવરની યાત્રા કરશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ઉત્તરાખંડથી 50 યાત્રાળુના પાંચ જૂથો લિપુલેખ પાસ થઈને યાત્રા શરૂ કરશે, જ્યારે 50 યાત્રાળુના 10 જૂથો સિક્કિમથી નાથુ લા પાસ થઈને યાત્રાએ જશે. રસ ધરાવતા યાત્રીઓ આ યાત્રા માટે ઓનલાઈન અરજી કરી શકે છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે અરજીઓ સ્વીકારવા માટે વેબસાઇટ https://kmy.gov.in શરૂ કરવામાં આવી છે. યાત્રીઓની પસંદગી અરજદારોમાંથી યોગ્ય, કમ્પ્યુટર-જનરેટેડ અને મહિલા-પુરુષની સમાનતાની પ્રક્રિયાના આધારે કરવામાં આવશે. મંત્રાલયે જણાવ્યું હતું કે ઓનલાઈન અરજીથી લઈને મુસાફરોની પસંદગી સુધીની સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઈઝ્ડ છે. તેથી અરજદારોને માહિતી મેળવવા માટે પત્રો કે ફેક્સ મોકલવાની જરૂર નથી. વેબસાઇટ પરના પ્રતિસાદ વિકલ્પોનો ઉપયોગ માહિતી મેળવવા, ટિપ્પણીઓ નોંધાવવા અથવા સુધારણા માટે સૂચનો કરી શકાય છે.
કૈલાશ માનસરોવર યાત્રા વર્ષ 2020થી થઈ નથી. સરકાર દર વર્ષે જૂનથી ઉત્તરાખંડમાં લિપુલેખ પાસ (વર્ષ 1981થી) અને સિક્કિમમાં નાથુ લા (વર્ષ 2015થી) બે સત્તાવાર માર્ગો દ્વારા કૈલાશ માનસરોવર યાત્રાનું આયોજન કરે છે. જોકે ચીન સાથેના તણાવને કારણે છેલ્લાં કેટલાંક વર્ષોથી આ યાત્રા બંધ હતી. કૈલાશ માનસરોવર યાત્રા હિન્દુઓ, જૈનો અને બૌદ્ધો માટે ધાર્મિક મહત્વ ધરાવે છે અને દર વર્ષે હજારો યાત્રાળુઓ કૈલાશ માનસરોવરની મુલાકાત લે છે.
